ભુજ:
સવાબ-એ-મુસ્તફા ફાઉન્ડેશન (ભુજ) અને સુરત યતીમખાના ઇસ્લામ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત UPSC/GPSC પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કચ્છના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પઠાણ તોકીર અને ડૉ. ઇરમાબેનની આખરી પસંદગી થઈ છે. સુરત ખાતે યોજાયેલા ઇન્ટરવ્યૂમાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ હવે તેમને પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક તાલીમ, નિવાસ તથા ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિદ્ધિ માત્ર બંને વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર કચ્છ માટે ગૌરવ અને આનંદની બાબત છે.
જાગૃતિના અભાવ વચ્ચે આશાનું કિરણ
UPSC અને GPSC જેવી ઉચ્ચ કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે કચ્છના મુસ્લિમ સમાજમાં હજુ વધુ જાગૃતિ, યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહનની જરૂરિયાત અનુભવાય છે. આવા સંજોગોમાં કચ્છના બે વિદ્યાર્થીઓની પસંદગી સમગ્ર સમાજ માટે આશાનું કિરણ અને પ્રેરણાદાયી ઘટના છે. ઇન્શા અલ્લાહ, તેમની આ સફળતા અનેક યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ આગળ વધવા પ્રેરણા આપશે.
શિક્ષણક્ષેત્રે 'એકલવીર' તરીકે સીકંદર રાયમાના પ્રયાસો
કચ્છમાં પ્રથમ વખત આ પ્રકારની પસંદગી પ્રક્રિયા માટે પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે સીકંદર રાયમા સાહેબે મહત્વપૂર્ણ પ્રયત્નો કર્યા છે. સ્થાનિક સ્તરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં સીકંદર રાયમા સાહેબના પ્રયાસોની અનેક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે.
મર્યાદિત સંસાધનો વચ્ચે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું, ઉચ્ચ શિક્ષણ પ્રત્યે યુવાનોમાં જાગૃતિ લાવવી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કરવાના તેમના પ્રયાસો સરાહનીય છે. આ અર્થમાં તેમને શિક્ષણક્ષેત્રના 'એકલવીર' તરીકે ઓળખાવવું અતિશયોક્તિ નહીં ગણાય.
જો સમાજના દાતાશ્રીઓ, શિક્ષણપ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓનો વધુ સહયોગ પ્રાપ્ત થાય, તો ભવિષ્યમાં આવા અનેક વિદ્યાર્થીઓને તેઓ ઉચ્ચ કારકિર્દી તરફ દોરી શકે તેવી પૂરી આશા રાખી શકાય.
મહાન સમાજસેવીઓ પાસેથી મળતી પ્રેરણા
ઇતિહાસ સાક્ષી છે કે સમાજમાં કાયમી પ્રતિષ્ઠા તે જ વ્યક્તિઓને મળે છે, જેઓ પોતાનું જીવન ઇલ્મ, માનવસેવા અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કરે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ, માનવતાની મૂર્તિ મધર ટેરેસા અને મહાન સમાજસેવક બાબા આમટેએ પોતાના જીવન દ્વારા એ સાબિત કર્યું છે કે નિઃસ્વાર્થ સેવા, શિક્ષણ અને માનવકલ્યાણ જ વ્યક્તિની સાચી ઓળખ બને છે. તેમણે વિવાદો કરતાં સેવા અને કાર્યને વધુ મહત્વ આપ્યું, તેથી આજે પણ સમગ્ર દેશ તેમને આદરપૂર્વક યાદ કરે છે. રાયમા સાહેબ પણ વિવાદોથી દૂર રહી પોતાનું કાર્ય કરતા રહેશે એવી આશા રાખીએ છીએ.
આ જ સંદેશ દરેક શિક્ષણપ્રેમી, સમાજસેવક અને યુવા માર્ગદર્શક માટે પણ પ્રેરણારૂપ છે. જ્યારે વ્યક્તિનું મુખ્ય ધ્યાન શિક્ષણ, ચારિત્ર્ય નિર્માણ, સમાજસેવા અને યુવાનોના ભવિષ્ય પર કેન્દ્રિત રહે છે, ત્યારે સમાજ પોતે જ તેને માન-સન્માન આપે છે. રચનાત્મક કાર્ય જ સૌથી મોટો પરિચય અને સૌથી લાંબી વારસાગાથા બની રહે છે.
અલ્લાહ તઆલા કરે કે કચ્છમાં શિક્ષણ અને સમાજસેવાના આવા પ્રયાસો વધુ મજબૂત બને, વધુ યુવાનો UPSC, GPSC અને અન્ય ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરે અને સમગ્ર સમાજ ઇલ્મ તથા અખ્લાકના માર્ગે સતત આગળ વધે. આમીન.
દિલી મુબારકબાદ અને દુઆ
પઠાણ તોકીર અને ડૉ. ઇરમાબેનને તેમની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ દિલી મુબારકબાદ. અલ્લાહ તઆલા તેમને ઇલ્મમાં બરકત અતા કરે, દેશ અને સમાજની ખિદમત કરવાની તૌફીક નસીબ ફરમાવે અને તેમની સફળતાઓમાં સતત વધારો કરે. આમીન.
સાથે જ સીકંદર રાયમા સાહેબને પણ શિક્ષણ ક્ષેત્રે કરેલા પ્રશંસનીય પ્રયાસો બદલ દિલી મુબારકબાદ. અલ્લાહ તઆલા તેમને ઇખ્લાસ, હિંમત, તંદુરસ્તી અને બરકત અતા કરે, તેમની સેવાઓને કબૂલ ફરમાવે અને તેમના પ્રયત્નો દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને સફળતાનો માર્ગ પ્રાપ્ત થાય. આમીન.
સૂફીવાદ અને ઈસ્લામિક ઈતિહાસ માટે જડાયેલા રહેવા ક્લિક કરો: sufidiary.com



0 ટિપ્પણીઓ